ગુજરાત અને તેના ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે - પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

 

*ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ – મંત્રીશ્રી બાવળિયા સાહેબ

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આટકોટ ક્લસ્ટરમાં કુલ ૮૧૧.૨૪ લાખના વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરાયા

 

*તા. ૨૭ ડિસેમ્બર –* શ્યામા પ્રસાદ મુખર્જી મિશન હેઠળ આટકોટ ક્લસ્ટર અંતર્ગત પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોધરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.

આ તકે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેત્રુત્વમાં અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ રૂપે ગુજરાત અને તેના ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે. વિકાસયાત્રાના ભાગરૂપે આટકોટ ક્લસ્ટરના પાંચ ગામના લોકોને વિવિધ યોજનાનો સીધો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવનધોરણ અને તેની સુખાકારીમાં વધારો થશે.

મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ખરા અર્થમાં ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જિલ્લા દીઠ પાંચ ગામોનું ક્લસ્ટર બનાવીને દેશના વિકાસને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરી વિસ્તાર જેવી સુવિધા મળશે. 

 શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશનનો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો જેવી માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે તેમના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. 

ભૌગોલિક રીતે સમાનતા ધરાવતા અને નજીકના વિસ્તારમાં આવેલા ગામોનો સમૂહ બનાવીને તેના માટે વિવિધ યોજનાઓ દ્વારા વિકાસ કરવામાં આવે છે જેને ક્લસ્ટર કહેવાય છે. આટકોટ ક્લસ્ટરમાં વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારશિયા (જામ)નો સમાવેશ થાય છે. આ ક્લસ્ટરમાં કુલ ૮૧૧.૨૪ લાખના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેનો લાભ આ વિસ્તારના જનસમુદાયને થશે. જે પૈકી વિરનગર ખાતે ૩૫૭.૩૬ લાખના ખર્ચે, આટકોટ ખાતે ૧૨૩.૮૮ લાખના ખર્ચે, જંગવડ ખાતે રૂ. ૧૨૪.૮ લાખના ખર્ચે, પાંચવડા ખાતે રૂ. ૧૦૭.૭૬ લાખના ખર્ચે, ખારશિયા (જામ) ખાતે રૂ. ૯૦.૭૪ લાખના ખર્ચે વિકસાવવામાં આવનારી સુવિધાનો સમાવેશ થશે. 

આ તકે વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારશિયા (જામ) વગેર ગામના સરપંચો, વિવિધ વિભાગના અધિકારીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.



Category : News

Post a Comment

Previous Post Next Post